રાજ્યભરમાં 2 દિવસ વરસાદની આગાહી, 30 થી વધુ તાલુકાઓમાં કમોસમી વરસાદ

વરસાદની આગાહી: આજે ખાસ કરીને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની સૌથી વધુ અસર જોવા મળી હતી. જેમાં નર્મદા જિલ્લાના તિલકવાડામાં સૌથી વધુ ૨.૮૩ ઈંચ, સાબરકાંઠાના ઈડરમાં ૨.૫૯, વડાલીમાં ૨.૩૬ ઈંચ, મહેસાણાના ખેરાલુમાં ૨.૦૪ ઈંચ જ્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ૧.૮૧ ઈંચ સાથે સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. આ સિવાય અન્યત્ર જ્યાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં સતલાસણા, પોસિના, વિજયનગર, રાધનપુર, સાતલપુર, નાંદોદ, ઉંઝા, બારડોલી, વાપી વડનગરનો સમાવેશ થાય છે. આ સિવાય કાંકરેજ, હારિજ, ચાણસ્મા, બેચરાજી, ભરૃચ, કડી, પાટણ, દાંતા, શંખેશ્વર, પાલનપુર, સિદ્ધપુર, મહેસાણા, વિસનગર, દિયોદર, વડગામ, દહેગામમાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

વરસાદની આગાહી

ગુજરાતમાં બે દિવસ ક્યાં વરસાદની આગાહી?

  • ૧૯ નવેમ્બર: સુરત, નવસારી, વલસાડ, વડોદરા, ભરૃચ, કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ.
  • ૨૦ નવેમ્બર: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૃચ, સુરત, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ.

કયા તાલુકામાં વધારે વરસાદ?

  • તાલુકો             જિલ્લો      વરસાદ
  • તિલકવાડા      નર્મદા        ૨.૮૩
  • ઇડર          સાબરકાંઠા      ૨.૫૯
  • વડાલી       સાબરકાંઠા      ૨.૩૬
  • ખેરાલુ        મહેસાણા        ૨.૦૪
  • ખેડબ્રહ્મા       સાબરકાંઠા      ૧.૮૧
  • સતલાસણા     મહેસાણા      ૧.૫૭
  • પોસિના        સાબરકાંઠા      ૧.૪૯
  • (સવારે ૬ થી સાંજે ૬ સુધીના આંકડા, ઈંચમાં.)

અમદાવાદ, ગાંધીનગરમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ થઇ ગયું અને અનેક વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસર હજુ બે દિવસ રહેશે. જેના પગલે આવતીકાલે  સુરત, નવસારી, વલસાડ, વડોદરા, ભરૃચ, કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં જ્યારે શનિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૃચ, સુરત, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટમાં ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત હળવોથી મધ્યમ વરસાદની આગાહી પડી શકે છે.

કમોસમી વરસાદથી ખેડૂતોમાં ભય ફેલાયો છે. વરસાદને લીધે ખેડૂતોને કપાસ, ઘઉં, રાયડો, મકાઇ, તુવેર જેવા પાકમાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે. વાદળિયા વાતાવરણથી કૃષિ પાકોમાં જીવાત પડવાની ધાસ્તી કૃષિકારોમાં છે. કૃષિ નિષ્ણાતોને મતે રાહતની વાત એ છે કે હજુ રવિ પાકનું વાવેતર શરૃ થયું નથી. અલબત્ત, જે પાક બહાર હતો તેને ભારે નુકસાન થવાની ભીતિ છે.