સાયકલ સબસિડી યોજના: શ્રમિકોને સાયકલ ખરીદવા રાજ્ય સરકાર 1500 રૂપિયાની સહાય કરશે

રાજ્યમાં શ્રમયોગીઓના ટ્રાન્સપોર્ટેશન માટે રાજ્ય સરકારે પોતાના કામના સ્થળે અવર જવર કરવા માટે રાજ્ય સરકારે ‘સાયકલ સબસિડી યોજના’ શરુ કરી છે. તે ઉપરાંત રાજ્યના કુલ 9836 શ્રમયોગી અને પરિવારોને રૂ.2 કરોડ 32 લાખની વિવિધ સહાય પણ આપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ અને વડોદરામાં કુલ 4.59 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર ભવનોના ઇ-લોકાર્પણ તેમજ ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન દ્વારા CSR અન્વયે 35 લાખના અનુદાનથી શ્રમિકોની આરોગ્ય તપાસ માટેની ૩ મોબાઇલ વાન અને મોબાઇલ એપને લોન્ચ કરી.

સાયકલ સબસિડી યોજના

  • 9836 શ્રમયોગી અને પરિવારોને રૂ.2 કરોડ 32 લાખની વિવિધ સહાય અપાઈ.
  • શ્રમિકોની આરોગ્ય તપાસ માટેની ૩ મોબાઇલ વાન અને મોબાઇલ એપને લોન્ચ કરાઈ.

1708 શ્રમિકોને 33 લાખથી વધુની સહાય અપાઈ
રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યના શ્રમિકો પોતાના પેટ માટે બ્રેડ-બટરની ચિંતા નહિ, પરંતુ રાષ્ટ્ર-રાજ્યના આર્થિક, ઔદ્યોગિક સર્વગ્રાહી વિકાસની જવાબદારી સાથે પોતાનું કામ કરે છે. રૂપાણીએ રાજ્યના શ્રમિકોને ઊદ્યોગોમાં અકસ્માતે મૃત્યુના કિસ્સામાં તેમના વારસદારોને રૂ. ૧ લાખની સહાયની શ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય યોજના સહિત શ્રમયોગીઓને પોતાના ઘરેથી કામકાજના સ્થળે જવા-આવવા માટે સરળ ટ્રાન્સપોર્ટેશન અન્વયે ‘‘સાયકલ સબસિડી યોજના’’ની પણ શરૂઆત કરાવી હતી. આ યોજના અન્વયે શ્રમિકોને સાયકલ ખરીદી માટે રાજ્ય સરકાર રૂ. 1500ની સહાય આપશે. આવા 1708 શ્રમિકોને 33 લાખ 30હજારની સહાય તેમણે આપી હતી.

શ્રમયોગીઓના 100 સંતાનોનું સન્માન કરાયું
રૂપાણીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે કોરોના સંક્રમણમાં આવા શ્રમિકોને એકવાર પોતાના વતન-પરિવાર પાસે જવાની તેમની ઇચ્છા પૂર્ણ કરવા 10 હજારથી વધુ ટ્રેન, 2 હજારથી વધુ બસોની સેવાઓ આપીને આઝાદી પછીના સૌથી મોટા માઇગ્રેશનને સફળતાથી પાર પડયું છે. આ શ્રમિકો પણ હવે પરત આવીને પૂન: ઊદ્યોગ-વેપાર એકમોમાં જોડાઇ રહ્યા છે અને કોરોના સામેનો જંગ વિકાસ કામોની ગતિથી જીતવા ‘‘હારશે કોરોના – જિતશે ગુજરાત’’ને ચરિતાર્થ કરે છે. શ્રમયોગીઓના 100 જેટલા સંતાન જેમણે સ્પર્ધાત્મક પરિક્ષાની તાલીમ મેળવી સફળતા પ્રાપ્ત કરીને સરકારી નોકરીઓ મેળવી છે તેમનું વર્ચ્યુએલ સન્માન કર્યુ હતું.